20150217

મળવા જેવા માણસ-૩૯ (શ્રી ગિરીશ ચિતલીયા)


Girish_chitaliya
      ગિરીશભાઈનો જન્મ અમરેલી જીલ્લાના ચલાલા ગામમાં ૧૯૨૯ માં એક મધ્યમ વર્ગીય કુટુંબમાં થયો હતો. એમના પિતા શ્રી કમલશી કરશનદાસ ચિતલીયા મુંબઈયુનિવર્સીટીએ શરૂ કરેલા B.Com. ડીગ્રી કોર્સના પ્રથમ બેચના વિદ્યાર્થી હતા. તેઓ મુંબઈના જય ભારત સાપ્તાહિકના માલિક અને તંત્રી હતા.
     ગિરીશભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ મુંબઈની પ્રખ્યાત અંગ્રેજી મિડિયમની કબુબાઈ સ્કૂલમાં થયેલું. અહીંથી તેમણે ૧૯૪૭ માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી,મુંબઈની વિલ્સન કોલેજમાં એડમિશન લીધું. વિલ્સન કોલેજમાં ચાર વર્ષ અભ્યાસ કરી, ૧૯૫૧ માં B.A.(Hon.) with Economics and Statistics ની ડીગ્રી મેળવી. શાળાકોલેજના આ વર્ષોમાં સામાજીક અને સાંસ્કૃતિક ઈતર પ્રવૃતિઓમાં ભાગ પણ લીધેલો.
      B.A. ની ડીગ્રી મેળવી એમણે Law College માં એડમીશન લીધું. અહીં એમણે એમના બે મિત્રો સાથે મળીને ૧૯૫૧ માં Rhythm Group ની સ્થપના કરી. આ ગ્રુપે મુંબઈમાંઅનેક સંગીતના અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા, જેમાં એ સમયના અતિ પ્રસિધ્ધ કલાકારોને આમંત્રી સફળ કાર્યક્રમોની હારમાળા આપી. કલાકારોમાંથી જો થોડા નામોગણાવું તો મુકેશ, તલત મહેમુદ, મહમદ રફી, જગમોહન, હેમંતકુમાર, મન્ના ડે, ગીતા દત્ત, અનિલ બિશ્વાસ, સી. એચ. આત્મા, ગુરૂદત્ત, વહીદા રહેમાન, માલા સિંહા, રહેમાન,જોની વોકર અને નુતન. એમની આ પ્રવૃતિ ૧૯૫૫ સુધી અવિરત ચાલતી રહી. આ સમય ગાળા દરમ્યાર એમના પિતાની તબિયત બગડતાં એમણે કાયદાનો અભ્યાસઅધવચ્ચે જ મૂકી દીધો અને પિતાના સાપ્તાહિક જય ભારતના કારોબારમાં જોડાઈ ગયા.
Girish_chitaliya_1
      ૧૯૫૫ માં ગિરીશભાઈના જીવનમાં બે મહત્વના બનાવો બન્યા. ૧૯૫૫ માં એમના arranged marriage ઈન્દુમતીબહેન સાથે થયા અને ૧૯૫૫ માં જ તેઓ મુંબઈનાઅતિપ્રતિષ્ઠીત The Progressive Group માં જોડાયા. બસ અહીંથી ગિરીશભાઈની સામાજીક પ્રતિષ્ઠાએ હરણફાળ ભરવાની શરૂઆત કરી. આ ગ્રુપમાં જોડાવાના બે વર્ષનીઅંદર જ, એટલે કે ૧૯૫૭ માં એમને ગ્રુપના જનરલ સેક્રેટરીનો હોદ્દો આપવામાં આવ્યો જે એમણે ૧૯૬૦ સુધી સંભાળ્યો. ૧૯૬૦ માં એમને ગ્રુપના ઉપ-પ્રમુખ બનાવવામાંઆવ્યા, અને ૧૯૬૫માં એમને ગ્રુપના પ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો. The Progrssive Group ના ઇતિહાસમાં ગિરીશભાઈ સૌથી નાની ઉમ્મરના પ્રમુખ હતા. આ હોદ્દો એમણે૧૯૬૭ સુધી એટલે કે બે વર્ષ સુધી સંભાળ્યો. ત્યારબાદ પણ તેઓ આ ગ્રુપના Executive Member તો રહ્યા જ. બધા મળીને પંદર વર્ષ તેઓ આ ગ્રુપના મહત્વના કાર્યકર્તા રહ્યા.
 Girish_chitaliya_2
      યોગાનુયોગ પ્રોગ્રેસીવ ગ્રુપના પ્રમુખ તરીકે નો કાર્યકાળ પૂરો થતાં જ તેઓ The Indo-American Society, Bombay ના સંપર્કમાં આવ્યા. ૧૯૬૯ થી ૧૯૭૩ સુધી આ સંસ્થાનાઓનરરી સેક્રેટરી અને ટ્રેઝરર રહ્યા  અને ૧૯૭૩ થી ૧૯૭૬ સુધી એના ઉપ-પ્રમુખ રહ્યા અને ૧૯૭૭-૭૮માં પ્રમુખ પદે નિમાયા. આ સંસ્થાના પણ કાર્યકારી બોર્ડના ૧૪ વર્ષસુધી સભ્ય રહ્યા.
      આ બે સંસ્થાઓમાં એમના કાર્યકાળ દરમ્યાન ગિરીશભાઈ અનેક આગેવાન વ્યક્તિઓના અંગત સંપર્કમાં આવ્યા. અહીં હું વધારે વિગતમાં ન ઉતરતાં માત્ર આ મહાનુભાવોનાનામ જ આપું છું. ડો. માર્ટીન લ્યુથર કીંગ જુનીઅર અને એમના પત્ની કોરેટા કીંગ, વિજ્યાલક્ષમી પંડિત, શ્રી વી.વી. ગિરી, ડો. રાધાકૃષ્ણન, શ્રી સંજીવ રેડ્ડી, શ્રી મોરારજી દેસાઈ,ડો. કરણસિંહ, વી.પી.સિંહ, અર્જુનસિંહ, પી.એ. સંગમા, ટી. ટી. કૃષ્ણમાચારી, તાર્કેશ્વરી સિંહા, મધુ લીમયે, આચાર્ય કૃપલાણી, એમ. સી. ચાગલા, સી. ડી. દેશમુખ, નાનીપાલખીવાલા, મીનુ મસાની, આદિત્ય બિરલા, જે. આર. ડી. તાતા, ટી. એન. શેશન, પ્રણવ મુકરજી, ખુશવંતસિંહ, કે. એમ. મુનસી, એમ. સી. સેટલવાડ અને ડો. સુબ્રમનિયમસ્વામી. આ બધી વ્યક્તિઓનો પરિચય ગિરીશભાઈને આ બે સંસ્થાઓ માટે પ્રવચન આપવા આમંત્રેલા ત્યારે થયો હતો, જો કે આમાની કેટલીક વ્યક્તિઓ સાથે એમને અંગતમિત્રતાના સંબંધો પણ હતા. ગિરીશભાઈના લગભગ બધા જ કાર્યક્રમોની મુંબઈના આગળ પડતા સમાચાર પત્રોમાં નોંધ લેવાતી અને એમની કાર્યકુશળતાના વખાણ થતા.
      આ બધા કામો વચ્ચે એમના પિતા દ્વારા શરૂ કરાયલા સાપ્તાહિક “જય ભારત” ના તંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળતા અને મુખ્યત્વે એમના ઈનસ્યુરન્સ કંપનીનાકામકાજને પણ સંભાળતા. ૧૯૭૧ માં એમને ફ્લેગ ડે નિમિત્તે બોક્ષ કલેક્શનના વડા નિમવામાં આવેલા, એ વર્ષે એમણે રેકોર્ડ કલેકશન કરી બતાવેલું. ૧૯૭૧ થી ૧૯૭૮ સુધીએમને ફ્લેગ ડે કમીટીના ઉપ-પ્રમુખ બનાવવામાં આવ્યા, અને ૧૯૭૮ માં એમને ચેરમેનનું પદ સોંપેલું.
       ગિરીશભાઈ એટલી બધી સંસ્થાઓ સાથે જોડાયલા હતા કે જેની નોંધ આ નાના સરખા પરિચય લેખમાં લેવાનું શક્ય નથી, એના માટે તો એમણે આત્મકથા જ લખવી જોઈએ.છતાં અહીં હું થોડી વધારે સંસ્થાઓનો ઉલ્લેખ કરીશ.  ૧૯૮૧ માં તેઓ Indo Japanese Association ના ઉપ-પ્રમુખ નિમાયા. ૧૯૮૫ માં પ્રેસ ગિલ્ડ ઓફ ઈંડિયાના માનદખજાનચી નિમાયા. ૧૯૮૭ થી મુંબઈની સર હરકિશનદાસ નરોત્તમદાસ હોસ્પિટલના માનદ સેક્રેટરી અને માનદ ખજાનચીના પદે નિમાયા. ૧૯૮૮ માં તેઓ Urban Development Institude ના ચેરમેનના પદે નિમાયા. ૧૯૯૦ થી ૧૯૯૨ તેઓ ફિલ્મ સેંસર બોર્ડના સભ્ય રહ્યા. આ સિવાય રોટરી કલબમાં વર્ષો સુધી એક યા બીજા પદ ઉપરકાર્યરત હતા. મહારાષ્ટ્ર સરકારે એમને Honorary Executive Magistrate તરીકે પણ નિમેલા. આ સિવાય પણ ભારતીય વિદ્યાભવન અને બીજી અનેક સંસ્થાઓને પોતાનીસેવાઓ ઉપલબ્ધ કરાવેલી. પોપ જોન પોલની ભારતની મુલાકાત વખતે જે સમિતી નિમાયલી તના ગિરીશભાઈ ખજાનચી હતા અને આ પ્રસંગે યોજાયલા કાર્યક્રમમાં ઈન્દીરા ગાંધી પણ હાજર હતા.
    સર હરકિશનદાસ નરોત્તમદાસ હોસ્પિટલના લાભાર્થે એમણે બી. આર. ચોપડાની મદદથી ટી.વી. સિરીયલ મહાભારતનો પાંચ કલાકનો લાઈવ શો, ૨૫૦૦૦ પ્રક્ષકોની હાજરીમાં, મુંબઈના બ્રેબોર્ન સ્ટેડીયમમાં યોજેલો.
     ગિરીશભાઈ આટલી બધી સામાજીક પ્રવૃતિઓ કરી શક્યા એની પાછળ એમના જીવન-સાથી ઈન્દુમતિ બહેનનો ખૂબ જ મોટો ફાળો હતો. ઘરની તમામ જવાબદારીઓ ઉપરાંત બાળકોની દેખભાળ અને એમના ભણતર અને કારકીર્દીના ઘડતરની સંપૂર્ણ જવાબદારી પણ ઈન્દુબેને જ ઉપાડી લીધેલી.
     ગિરીશભાઈના ત્રણે પુત્ર ભણી ગણીને ઠરીઠામ થયા છે. એક પુત્ર ભારતમાં અને બે પુત્રો અમેરિકામાં સ્થાયી થયા છે. ૨૦૦૦ માં ગિરીશભાઈ પણ ભારતમાની એમની બધીજવાબદારીઓમાંથી નિવૃત્તિ લઈ, ગ્રીનકાર્ડ મેળવી અમેરિકા આવ્યા. ૨૦૦૬ માં તેઓ અમેરિકાના નાગરિક થઈ ગયા. હમણાં કેલીફોર્નિયાના Bay Area માં ચાલતી અનેકગુજરાતી સામાજીક અને સાહિત્યીક સંસ્થાઓમાં રસ લઈ નિવૃતિનું જીવન વ્યતિત કરે છે. મારા સદનશીબે મારો એમની સાથે થોડા સમય પહેલા જ પરિચય થયો. હજીસુધીમારૂં આશ્ચર્ય અકબંધ છે કે એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન આટલું બધું કઈ રીતે કરી શકે?
     ગિરીશભાઈ માને છે કે કામ એજ ઈશ્વર છે અને સાથે સાથે તેઓ માને છે કે જીવનમાં ઓછી જરૂરિયાતો જ સુખ આપી શકે છે.
-પી. કે. દાવડા