20130827

ફિટનેસ - મુકુંદ મહેતા

રસોડામાં વપરાતા મસાલા તંદુરસ્તી માટે ખૂબ જરૃરી છે

- મોટેભાગે લગભગ ૭૦ ટકા સ્ત્રીઓ જે રસોઇ બનાવે છે તેમને કયો મસાલો ક્યારે કેટલો વાપરવો તેના ફાયદા ગેરફાયદા જણાવવા આ આર્ટીકલ લખેલ છે

ભારતના રસોડામાં રસોઇ બનાવતી વખતે વાપરવામાં આવતા મસાલા અને એ રસોઇ જમતી વખતે પ્રત્યેક વ્યક્તિના સ્વાદ અનુસાર જમનાર પોતાની થાળીમાં પીરસેલી વસ્તુમાં ઉપરથી નાખે તે (કોન્ડીમેન્ટ્સ)નો ઉલ્લેખ આપણા પુરાણા શાસ્ત્ર વેદમાં છે. આ મસાલાનો ઉપયોગ ફક્ત રસોઇમાં જ નહીં પણ ધાર્મિક વિધિમાં (લગ્ન-જનોઇ-મૃત્યુ વગેરે), તાંત્રિક વિધિમાં પણ થાય છે. એક સમય એવો હતો કે અમુક મસાલા કિમતી રત્નોના બદલામાં આપવામાં આવતા હતા. જુદા જુદા મસાલા મૂળ વનસ્પતિનાં ફૂલ, પાન, મૂળ, છાલ, બીમાંથી મેળવાય છે. કોઇવાર એકલા અને કોઇવાર બે કે ત્રણના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે અને રસોઇ બનાવવામાં વપરાય છે. આ બધા મિશ્રણથી રસોઇનો સ્વાદ ગળ્યો, તીખો, તૂરો, ખાટો, સુગંધીદાર થાય છે. આ મસાલા કઇ રસોઇમાં ક્યારે કેવી રીતે, કયા મિશ્રણમાં વાપરવા તે રસોઇ બનાવનારની રાંધવાની કળા પર આધાર રાખે છે. કોઇવાર વનસ્પતિનાં પાન કે બી મૂળ સ્વરૃપમાં વાપરવામાં આવે છે જ્યારે કોઇ વખત રસોઇમાં નાખતી વખતે તેને ખાંડીને કે ભૂકો બનાવી વપરાય છે. આજે આ બધા જ પ્રકારના મસાલાની અસરથી માનવીના કયા અને કેટલા રોગો મટી જાય છે તેની વાત કરીશું.
(૧) તમાલપત્ર ઃ તમાલપત્ર સુગંધીદાર પાંદડા છે જે કરીયાણાવાળા રાખે છે. સુકાએલા પાંદડા કઢીમાં, ભાતમાં, બિરીઆની અને પુરાવામાં સુગંધીદાર બનાવવા વપરાય છે.
હેલ્થ બેનીફીટ્સ; આ પાંદડામાં એન્ટીઓક્સીડંટ (શરીરમાંથી ટોક્સીક પદાર્થો (ફ્રીરેડીકલ) નાશ કરનારા પદાર્થ) ખૂબ પ્રમાણમાં છે જેને લીધે પેટનાં (હોજરી અને આંતરડાના) ચાંદાં (અલ્સર) અને દુખાવા માટે, બેકટેરીઆ અને ફન્ગલ ઈન્ફેકશન માટે ઉપયોગ થાય છે. તેમાં વિટામિન સી છે, કેલ્શ્યમ, મેંગેનીઝ છે. આયર્ન. સેલેનીઅમ અને મેંગેનીઝ છે. બ્લડ પ્રેશર અને ડાયાબીટીસમાં ફાયદો કરે છે.
(૨) લાલ મરચું ઃ મોળા મરચાથી તીખા મરચા, રંગબેરંગી ધોલર (કેપ્સીકમ) મરચા ઘણા પ્રકારના મરચાં મળે છે. જેમ મરચું નાનું તેમ તેની તીખાશ વધારે. મરચાના છોડના ફળને સૂકવીને તેને (ફળની છાલ અને બીને) ખાંડીને મરચુ (મસાલો) રસોડામાં વપરાય છે. કેપટીકા ઘેરા લીલારંગના મરચા વધારે તીખા હોય છે. મરચામાં મૂળ તત્ત્વ 'કેપ્સીસીઅન' છે જેના કારણે મરચું અને મરચા નાખેલી વાનગીઓ તીખી લાગે છે. દરેક વ્યક્તિએ પોતાના ખોરાકમાં મરચાનો સમાવેશ કરવો જોઇએ કારણ કે જેઓના વજન વધારે છે અને બી.પી. છે.
 તેમણે જમવાની સાથે મરચા (લીલા) અથવા તો મરચાનો પાવડર લેવો જોઇએ.
હેલ્થ બેનીફીટ્સ ઃ ૧. વ્યક્તિનું વજન પ્રમાણમાં રહે છે. ૨. તેનું બી.પી. કંટ્રોલ થાય છે. ૩ મરચામાં ખૂબ પ્રમાણમાં બીટા કેરોટીન (પ્રો. વિટામિન એ) છે જેનાથી આંખની જોવાની શક્તિ મોટી ઉમર સુધી ઓછી થતી નથી. ૪. મરચાથી ડાયાબીટીસ કાબુમાં આવે છે. ૫. લોહીનું પરિભ્રમણ વધે છે. લોહી પાતળું થાય છે તેથી સ્ટ્રોકનો ડર રહેતો નથી. ૬. શરીરમાં કોઇ ઠેકાણે સોજો આવતો અટકાવે છે. ૭. દુખાવો ઓછો કરે છે. ૮. માનસિક શક્તિ (વિચારશક્તિ) વધે છે. ૯. કેપસીસીઅન સ્નાયુને અને મગજને રીલેક્ષ કરે છે. ૧૦. બેકટેરીઅલ ઈન્ફેકશનનો નાશ કરે છે. ૧૧. પ્રોસ્ટેટ કેન્સર થતું અટકાવે છે. ૧૨. હોજરીમાં થનારા કેન્સર અટકાવે છે. ૧૩. મરચા પ્રમાણસર લેવાથી શરીરમાં ચરબી ઓછા થાય છે. ૧૪. લોહીના ક્લોટ થતા અટકાવે છે.
(૩) હિંગ ઃ ગુજરાતી દરેક ખોરાકમાં હિંગ વપરાય છે. તેની તીવ્ર વાસથી તે ઓળખાય છે. પાર્સલે ફેમીલીના 'એપીસીઆ' નામના છોડના મૂળના રસમાંથી બને છે. આ રસ ચીકણો થઇ ચોટી ના જાય માટે હિંગનો પાવડર (એસોફેરીડા) બનાવતી વખતે સૂકવેલા રસમાં ચોખાનો લોટ અને ગુંદર નાખવામાં આવે છે. શાકમાં, દાળમાં અને નોન વેજીટેરીઅન વાનગીઓમાં હિંગ નાખવામાં આવે છે જેથી રસોઇ સરસ થાય છે અને સ્વાદ સુગંધીને કારણે ભૂખ ઊઘડે છે.
હેલ્થ બેનીફીટ્સ ઃ હિંગના પાવડરને પાણી-છાસમાં એક ચપટી નાખીને પીવાથી ૧. પાચનશક્તિ વધે છે. ૨. આફરો નથી આવતો. ૨. સ્ત્રીઓમાં માસિક ધરમના પ્રોબ્લેમ- માસિક નિયમિત ના આવવું, માસિક વખતે દુખાવો થવો જતો રહે છે. ૩. ઉધરસ અને શરદી તરત મટી જાય છે. ૪. તાજેતરમાં થએલા પરીક્ષણ પ્રમાણે સ્ત્રીપુરુષોના ગુપ્તરોગો (એસ.ટી.ડી.)માં હિંગના ઉપયોગથી આરામ મળે છે. એની તીવ્ર વાસને કારણે એક ચપટીથી વધારે પ્રમાણમાં લેવાથી ઉબકા-ઉલટી થાય છે. ગળામાં બળતરા થાય છે. હોઠ સૂઝી જાય છે. સતત ઓડકાર આવે છે. ગર્ભવતી સ્ત્રીઓમાં કસુવાવડ થઇ જાય છે.
(૪) કોથમીર (ધાણા) ઃ કોથમીરના પાન ખટાશ પડતા ગળ્યા છે. સુગંધ મીઠી છે. લગ્નના રસોડાની દરેક વાનગીમાં કોથમીર નાખવામાં આવે છે (શાકદાળ), જેનાથી સુગંધ અને સ્વાદ વધે છે.
હેલ્થ બેનીફીટસ ૧. પાચનશક્તિ વધારે છે. ૨. વાયરલ ફીવર સામે રક્ષણ આપે છે. ૩. શરીરમાં સોજો થતો અટકાવે છે. ૪. સાંધાના દુખાવામાં આરામ આપે છે. ૫. પેશાબના ચેપ અને સોજામાં તેનો રસ આરામ આપે છે. ૬. પેટમાં થએલા ગેસમાં રાહત આપે છે. ૭. ઉબકા અને ઉલટી થતા અટકાવે છે. ૮. લોહીમાં સાકરનું પ્રમાણ ઘટાડે છે. ૯. ખોરાકમાં રેસાની જરૃર કબજીયાત મટાડવા જોઇએ તે કોથમીરમાં છે. ૧૦. લોહતત્વ છે જેથી એનીમીઆ ઘટે છે. ૧૧. મેગનેશ્યમ છે. ૧૨. ફાયરોન્યુટ્રીઅન્ટ અને ફ્લેવેનોઇડઝ છે જેથી કેન્સર સામે રક્ષણ મળે છે.
(૫) ઈલાયચી ઃ મોંમાં ઈલાયચીના દાણા ચાવવાથી આખું મોં સુગંધથી ભરાઇ જાય છે. મસાલામાં સૌથી મોંઘી ઈલાયચી ગણાય છે. તેનો ઉપયોગ પુલાવ, કરી, ગ્રેવી, આઈસ્ક્રિમ, શ્રીખંડ, દુધમાં થાય છે. કસ્ટર્ડ, ચાના, કોફીના મસાલામાં, પાનમાં વપરાય છે, મોટી ઈલાયચી રસોઇમાં ભાત-બિરીયાનીમાં વપરાય છે. નાની ઈલાયચીનો ભૂકો દૂધ વગેરેમાં વપરાય છે.
હેલ્થ બેનીફીટ્સ ઃ ૧. એલચીમાં એન્ટી ઓક્સીડંટ રૃપે ઘણા કેમીકલ કમ્પાઉન્ડ છે,જેનાથી સામાન્ય તાવ, ચેપ, શ્વાસના (ફેફસાં) રોગો સામે રક્ષણ આપે છે. ૨. તેમાંથી તરત ઉડી જાય તેવા ૧૮થી ૨૦ જેટલાં તેલ છે જેનો ઉપયોગ ચેપી રોગને માટે, પેટના દુખાવા માટે, પાચન માટે, વધારે પેશાબ લાવવા, ભૂખ વધારે લાવવા જ્યારે તેને રોજ ખોરાકમાં લો ત્યારે થાય છે. તેમાં પોટાશ્યમ, કેલ્શ્યમ, મેગ્નેશ્યમ તેમજ વિટામિન સી, નાયસીન ટીબોફ્લેવીન વગેરે છે જે શરીર માટે ખૂબ ઉપયોગી છે.
૬. હળદર ઃ આદુના જેવા છોડ 'કરકુમા લોન્ગા''ના મૂળમાંથી સૂકવીને કાઢેલા પાવડરને હળદર કહે છે. રંગે ઘેરો પીળો, સુગંધી હળદર રસોડાના મસાલામાં મીઠું, મરચું પછી ત્રીજા નંબરે આવે છે. ખોરાકની દરેક વાનગીમાં જરૃરી છે. આંખને ગમે તેવો રંગ-રૃપ અને સ્વાદ છે. વધારે લો તો સ્વાદ કડવો બને છે.
હેલ્થ બેનીફીટ્સ ઃ તાજેતરમાં જેને 'નેચરલ વંડર' તરીકે નામ આપવામાં આવ્યું છે તે હળદર ખોરાકમાં સૈકાઓથી વપરાય છે. આરોગ્ય માટેના અનેક ગુણોમાંના થોડા ગુણો ૧. ઉધરસ માટે અકસીર ૨. યાદશક્તિ જતી રહેતી હોય તેને અટકાવવાનો ગુણ ૩. સોજા અને ચેપ માટે અકસીર ૪. કોબીના શાક સાથે મેળવીને 'પ્રોસ્ટેટ કેન્સર' અટકાવી શકાય. ૫. ચામડી પર લેપ કરવાથી ચામડીના કેન્સર તેમજ ચામડીના રોગો સામે રક્ષણ મળે. ૬. લીવરના રોગો થતા અટકે છે. ૭. નાનાં બાળકોમાં લોહીના કેન્સર (લ્યુકોમીઆ) થતા અટકાવે છે. ૮. દુખાવામાં રાહત આપે છે. ૯. શરીરમાંથી ચરબી દૂર કરવાનો ગુણ છે. ૧૦. ચાઇનીઝ મેડિસીનમાં ડીપ્રેસનમાં આપવામાં આવે છે. ૧૧. સોરાએસીસ (ચામડીના રોગ)માં રાહત આપે છે. ૧૨. ચામડીને સુવાળી, ચમકીલી રાખવા વપરાય છે. ૧૩. ૨૫૦-૫૦૦ મી.ગ્રામની કેપસ્યુલમાં બજારમાં મળે છે. રોજ એક કેપસ્યુલ સવારે અને સાંજે (૨૫૦ મી.ગ્રામ) લેવી જોઇએ. હળદરમાં 'કરક્યુમીના' નામનો પાવરફૂલ એન્ટીઓક્સીડંટ છે. જેનાથીઆટલા બધા ફાયદા થાય છે.
૭. જીરૃ (ક્યુમીન) ઃ સ્વાદમાં કડવું છે પણ તીખાશ નથી. મીઠું-મરચું-હળદર પછી ચોથો નંબર જીરાનો છે. એકલું અથવા ધાણા સાથે મિક્સ કરી ધાણાજીરા તરીકે વપરાય છે. શેકીને રસોઇમાં વપરાય છે. ભાતને સુગંધીદાર બનાવવા વપરાય છે અને આ ડીશને 'જીરારાઈસ' કહે છે.
હેલ્થ બેનીફીટ્સ ઃ ૧. હજારો વર્ષથી પેટના રોગો માટે આયુર્વેદિક મેડીસીનમાં વપરાય છે. પાચનક્રિયા માટે, આંતરડા અને હોજરીના સોજા માટે ઉપયોગી છે. ઉબકા, ઉલટી, આફરો, અપચો માટે અકસીર છે. તેમાં આયર્ન છે જેનાથી એનીમીઆ મટે છે. ૩. કેન્સર (અમુક પ્રકારના) સામે રક્ષણ આપે છે. ૪. શરદી ઉધરસમાં રાહત આપે છે. ૫. ગુમડા ઉપર પોટીસ બાંધવાથી આરામ થાય છે.
૮. તજ (સીનમમ - દાલચિની) ઃ સીનેમમ ફેમીલીના ઝાડની છાલ એટલે બજારમાં મળતી તજના ટુકડા. પાતળી છાલની તજ સારી ગણાય. સ્વાદમાં તીખી અને ગળી ખૂબ ગમે તેવી સુગંધ એનાથી જ્ઞાાનતંતુ શાંત થાય છે. ચા અને ગરમ કોફીમાં, કેક બનાવવા, ફ્રૂટ પાઇ, કરીઝ બનાવવા વપરાય છે.
હેલ્થ બેનીફીટ્સ ઃ ૧. મોટેભાગે મધ સાથે તજનો ભુકો કોલેસ્ટ્રોલ ઓછું કરવા. ૨. ઢીંચણના વામાં. ૩. મૂત્રાશયના રોગોમાં. ૪. શરદી ઉધરસ. ૫. પેટના પ્રોબ્લેમ (ગેસ, દુખાવો, અપચો, આફરો)માં ઉપયોગમાં આવે છે. ૬. મોંની દુર્ગંધ. ૭. ખીલ. ૮. ઈમ્યુનીટી વધારવા. ૯. હાર્ટ ડીસીઝમાં આપવામાં આવે છે. ૧૦. તજના તેલમાં ફન્ગસ અને બેકટેરીઅલ ઈન્ફેકશન મટાડવાનો ગુણ છે.
૯. લવીંગ ઃ હજારો વર્ષથી લવીંગ રસોડામાં મરી મસાલામાં તજની માફક વપરાય છે. લવીંગના ઝાડના સુકવેલા ફૂલ એટલે લવીંગ. મોંની દુર્ગંધ મટાડવા અને દાંતના દુખાવા માટેનો ઉપયોગ જગજાહેર છે.
હેલ્થ બેનીફીટ્સ ઃ ૧. લવીંગના તેલને 'યુજેનોલ' કહે છે તેની સાથે 'ટ્રીટી ઓઇલ'નું મિશ્રણ કરી 'ફન્ગલ ઈન્ફેકશન'માં અસરકારક કામ કરે છે. એન્ટીફન્ગલ દવાઓ કરતાં ફન્ગલ ડીસીઝ માટે વપરાય છે કારણ તેની સાઇડ ઈફેક્ટ નથી. ૨. એનેસ્થેટીક તરીકે 'યુજેનોલ' વપરાય છે. ૩. સોજા માટે. ૪. ચેપ માટે. ૫. દાંતના દુખાવા માટે ખાસ વપરાય છે. ૬. ડાયાબીટીસના દર્દીઓ માટે પેન્ક્રીઆસમાંથી વધારે ઈન્સ્યુલીન નીકળે અને ડાયાબીટીસ કાબુમાં આવે માટે તમાલપત્ર, તજ, લવીંગ, હળદર દરેકના ૫૦૦ મી.ગ્રામ અને સાથે ધાણા અને જીરૃનું મિશ્રણ કરી તેની ચા દિવસમાં બે વાર પીવાથી ત્રણ માસમાં ડાયાબીટીસ કાબુમાં આવી જાય છે. લવીંગનું તેલ મચ્છર ભગાડવા અને જાતીય શક્તિ વધારવા વપરાય છે.
૧૦. મેથી ઃ ફેન્ગરૃક અથવા મેથીના બી મેથીની ભાજીનાં બી છે. સુકા બી પીળા રંગના સ્વાદમાં કડવા હોય છે. રસોડામાં વપરાતા મસાલામાં મેથી અને રાઇ અગત્યના ગણાય છે. મેથીની ભાજી શાક તરીકે વપરાય છે.
હેલ્થ બેનીફીટ્સ ઃ ૧. પાચન ક્રિયામાં મદદ કરે છે. ૨. માથાના વાળ ઓછા થયા હોય તો મેથીના બીને પાણીમાં ઉકાળી નાળીયેરના તેલમાં પલાળી બીજે દિવસે જ્યાં વાળ ના હોય ત્યાં માથામાં આ મેથી + નાળીયેરના તેલને લગાડવાથી વાળ ઉગશે.
૧૧. રાઇ (મસ્ટાર્ડ) ઃ બ્રાઉન રંગના રાઇના બી મોટેભાગે વપરાય છે. પણ કાળા રાઇના દાણામાં વધારે તેલ હોય છે જેને મસ્ટાર્ડ ઓઇલ (રાઇનું તેલ) કહે છે. લગભગ બધા જ પ્રકારની દાળ તુવેર-મગ વગેરેમાં રાઇ મેથીનો વઘાર ચોક્કસ હોય છે. અથાણા પેસ્ટ્રીમાં વપરાય છે. રાઇના તેલને સરસવના તેલમાં ૪૦/૬૦ના પ્રમાણમાં ભેગા કરી 'કેનોલા ઓઇલ' બનાવાય છે.
હેલ્થ બીનીફીટ્સ ઃ રાઇના તેલના અનેક ગુણ છે જેવા કે ભૂખ લગાડે, બેકટેરીઆ ફન્ગસનો નાશ કરે. ઝીણી જીવાતો - માખી - મચ્છર - કિડી માટે રીપેલન્ટ તરીકે વપરાય. સાંધાના દુખાવામાં વપરાય. ખાસ કરીને બંગાળમાં અને બાંગલાદેશમાં બહુ વપરાય છે.
૧૨. મરી (કાળી મીર્ચ) ઃ કાળા અને લીલા મરી પણ રસોડાના મસાલામાં અગત્યનો ભાગ ભજવે છે. સ્વાદમાં સફેદ લીલા મરી વધારે તીખા હોય છે. કાળા મરીનો ભુકો રસોઇની વાનગીઓમાં વપરાય છે. મરીના ઝાડનું ફળ ગણાય છે.
હેલ્થ બેનીફીટ્સ ઃ ૧. મરી ભૂખ લગાડે. ૨. પેટના રોગો મટાડે. ૩. મોંમાંથી લાળ વધારે નીકળે એટલે ખોરાકનું પાચન સારું થાય. ૨. મીઠા સાથે મરીનો ભૂકો દાંતમાં કેવીટી ના પડે માટે. ૩. મોંની દુર્ગંધ માટે. ૪. અવાળામાંથી લોહી નીકળતું હોય તે માટે એક ગ્લાસ. ૫. છાસ સાથે પા ચમચી મરીનો પાવડર લેવાથી પાચનશક્તિ સુધરે છે. ૬. દાંત દુખતા હોય તો તેમાં રાહત આપે છે.
સ્થળસંકોચને કારણે રસોડામાં વપરાતા બાકી રહેલા મરીમસાલાની વાત ફરી કોઇ વાર કરીશું. મોટેભાગે લગભગ ૭૦ ટકા સ્ત્રીઓ જે રસોઇ બનાવે છે તેમને કયો મસાલો ક્યારે કેટલો વાપરવો તેના ફાયદા ગેરફાયદા જણાવવા આ આર્ટીકલ લખેલ છે. હવે પછીના આર્ટીકલમાં નીચેની વસ્તુઓની વાત કરીશું.
૧. કોકમ ૨. આમલી ૩. મીઠો લીમડો (કરીલીવ્સ) ૪. સંચળ ૫. લસણ ૬. આદુ ૭. આમચુર (કાચી કેરીનો પાવડર), ૮. ફૂદીનો ૯. જાયફળ ૧૦. કલોજી (ડુંગળીના બી) ૧૧. કેસર ૧૨. અજમો ૧૩. આમળા ૧૪. દાડમના દાણાં ૧૫. તુલસી ૧૬. તરબુચનાં બી ૧૭. ચારોળી ૧૮. ખસખસ ૧૯. જેઠીમધ ૨૦. સાજીના ફૂલ ૨૧. મીઠું ૨૨. તલ ૨૩. સિંધાલુણ ૨૪. ખાંડ ૨૫. ગોળ ૨૬. લીંબુ.

-Gujarat Samachar