20121031

વૈજ્ઞાનિકોના અદ્દભુત પ્રસંગો – ચંદ્રમૌલિ વિદ્યાલંકાર


[1] જૉન વ્હીલર
અમેરિકન ભૌતિકશાસ્ત્રી જૉન વ્હીલર (ઈ.સ. 1911) એ હાઈડ્રોજન બૉમ્બ પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. કોઈ ચીજ અથવા પરિઘટનાનું નામ રાખવા માટે રાતે પથારીમાં પડ્યા પડ્યા અથવા બાથટબમાં આરામ કરતા રહી કલાકો સુધી ધ્યાનમગ્ન રહેતા હતા. જ્યારે એક વખત તેઓ આ કામથી સંતુષ્ટ થઈ જતા ત્યારે કોઈને બતાવ્યા વગર એનો ઉપયોગ કરવો શરૂ કરી દેતા હતા. ઈ.સ. 1967ના ડિસેમ્બરમાં એક વ્યાખ્યાનમાં વ્હીલરે નષ્ટ થયેલ અથવા જામી જનારા તારાઓ માટે ‘બ્લેકહોલ’ નામ સુઝાડ્યું. એની ભારે પ્રશંસા થઈ અને દુનિયાભરના ખગોળ ભૌતિકવિદોએ આ નામને અપનાવી લીધું. આજે આ ખગોળીય પદાર્થને લોકોની કલ્પના પર લગાડી દીધેલ છે. આ નામની એક ફિલ્મ પણ બની છે.
[2] ચાર્લ્સ ડાર્વિન
ચાર્લ્સ ડાર્વિનનું પુસ્તક ‘ધી ઓરિજિન ઑફ સ્પીસીજ’ 1859માં પ્રકાશિત થયું હતું. વૈજ્ઞાનિક સમુદાયે જે રીતથી આ પુસ્તકને લીધું હતું એનાથી ચાર્લ્સ ડાર્વિન મૃત્યુપર્યંત ખૂબ જ દુઃખી અને ઉદાસ રહ્યા. મોટા ભાગના વૈજ્ઞાનિકો એના વિચારોની મજાક ઉડાવતા હતા કે માણસનો ઉદગમ વાનરમાંથી થયો છે ! વર્તમાનપત્રોએ એને વાનર તરીકે ચિત્રિત કર્યા. ત્યાં સુધી કે એના પોતાના શિક્ષક આ વિચારને સંપૂર્ણ ખોટો અને ગંભીર મજાક માનતા હતા.
[3] વોલ્ફગેંગ પૉલી
પ્રખ્યાત જર્મન ગણિતજ્ઞ ફેલિક્સ કલીન કોઈ એવા માણસની તપાસ કરી રહ્યા હતા, જે નવઘોષિત આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંત પર એક લેખ લખી શકે. એને આ લેખ ‘એનસાઈક્લોપીડિયા ઑફ મેથેમેટિકલ સાયન્સીસ’ને માટે જોઈતો હતો, જેનું સંપાદન એ કરી રહ્યાં હતા. એમને મ્યૂનિખમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક એરનૉલ્ડ સોમરફીલ્ડને પૂછ્યું, ‘જો એ કોઈ એવી વ્યક્તિને જાણતા હોય કે જે આ કઠિન કામને કરી શકે તો બતાવો.’ જરા પણ વિચાર્યા વગર સોમરફીલ્ડે બેધડક પોતાના વીસ વર્ષના વિદ્યાર્થીનું નામ આપી દીધું, તેણે નિરસ વર્ગ દરમ્યાન આઈન્સ્ટાઈનનું પેપર વાંચ્યું હતું. એ છાત્રે આઈન્સ્ટાઈન સિદ્ધાંત પર લેખ લખ્યો, જેને આજ પણ ‘સાપેક્ષતાના સિદ્ધાંત’ સમજનારાઓ માટે ઉત્તમ લેખ માનવામાં આવે છે. શું તમે જાણવા માગો છો કે એ કોણ હતા ? વૉલ્ફગેંગ, પૉલી (1900-1958) પરમાણુ ભૌતિકીના મશહૂર માણસ હતા. 1945માં એને નોબેલ પુરસ્કાર મળ્યો.
[4] ડેનિસ પેયિન
ફ્રાન્સના ડેનિસ પેયિન (1647-1712) ભૌતિકશાસ્ત્રી હોવાની સાથે સાથે વરાળ એન્જિનના પ્રારંભિક પ્રણેતા પણ હતા. એમને લંડનની રૉયલ સોસાયટીથી આવેલ મહેમાનોને માટે રાત્રીભોજન આયોજિત કર્યું હતું. આ ભોજનમાં એમણે ભોજન ‘પ્રેશર કૂકર’માં બનાવ્યું હતું, જે એમની પોતાની શોધ હતી. આ પ્રેશર કૂકરને તેઓ ‘હાડકાં પચાવનાર’ કહેતા હતા. મહેમાનોએ આ શોધનું વ્યાપારિક મહત્તા સમજ્યા વગર ભોજનની મજા માણી. બીજી બાજુ પેયિને એને વરાળ એન્જિન બનાવવાની એક કડી માન્યું, જે એના જીવનનું એકમાત્ર ગાંડપણ હતું.
[5] જૉર્જ ઈંગલ ફિંચ
વિજ્ઞાનના શિક્ષક મોટે ભાગે શોખ રાખતા નથી, કારણ કે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ પોતાના અધ્યયનમાં પૂરું ધ્યાન લગાવી શકતા નથી. જો કે શોખ વિજ્ઞાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે અને એ શોખ કોઈને અમર બનાવી શકે છે. જૉર્જ ઈંગલ ફિંચ (1888-1970)ની બાબત કંઈક આવી જ હતી. જૉર્જ બ્રિટિશ રસાયણીશાસ્ત્રી હતા. એનું નામ પર્વતારોહકોમાં અમર છે. પર્વતારોહણનો શોખ એની યુવાવસ્થાથી જ હતો.
કિશોરાવસ્થામાં ફિંચે યુરોપની કેટલીક નાની પહાડીઓને સ્પર્શી લીધી હતી – ખાસ કરીને સ્વિટ્ઝર્લેન્ડના આલ્પસની. 1922માં એણે માઉન્ટ એવરેસ્ટના શિખરો પર પોતાના પગલાં મૂક્યાં હતાં. બર્ફીલા પર્વતોની ઉપરની સ્થિતિઓને સમજવાથી હલકા વજનવાળા વાયુરોધી વસ્ત્ર ‘એનોરાક’ પહેરવાની શરૂઆત કરી. એનોરાકે વજનદાર ઊનનાં કપડાંનું સ્થાન લઈ લીધું હતું. એ સમયે ઠંડીથી બચવાને માટે પર્વતારોહી ભારે ઊનનાં વસ્ત્રો પહેરતાં હતાં. એણે ઓક્સિજનના ઉપયોગની ભલામણ કરી – વિશેષતઃ ખુલ્લા સોકેટવાળા ઉપકરણોના માધ્યમથી. જ્યારે એણે પહેલી વખત એના ઉપયોગની ભલામણ કરી ત્યારે લોકોએ એને શકની નજરે જોયા. પાછળથી આ ઑક્સિજન ઉપકરણનો ઉપયોગ 1953માં ન્યુઝીલેન્ડના એડમંડ હિલેરી અને તેનસિંગ નૉરગે દ્વારા કરવામાં આવેલ સફળ માઉન્ટ એવરેસ્ટ અભિયાનની અંતર્ગત થયો.
[6] એમિલ હરમેન ફિશર
જર્મન રસાયણશાસ્ત્રી એમિલ હરમેન ફિશર (1852-1919)ના પિતાને ઊંડો રસ એમાં હતો કે એનો પુત્ર એક સફળ વેપારી બની પરિવારની પરંપરાને આગળ વધારે. ફિશરને વ્યાપાર સંબંધી શિક્ષણ આપવા માટે એણે એક શિક્ષક પણ રાખ્યો હતો. થોડા દિવસો પછી શિક્ષક નિરાશ થઈ ગયો અને ટીકા કરી કે ‘આ છોકરો વેપારી બનવાને લાયક નથી. બહેતર છે કે એ વિદ્યાર્થી બને.’ એણે એને ઉચ્ચ શિક્ષણને માટે વિશ્વવિદ્યાલયમાં મોકલ્યો. ફિશરે શોધને માટે રસાયણ વિજ્ઞાનનું ક્ષેત્ર પસંદ કર્યું. કાર્બોનિક રસાયણના ક્ષેત્રમાં એણે મૌલિક શોધકાર્ય કર્યું અને 1902માં નૉબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો.
[7] ગિયોરદાનો બ્રૂનો
ઈટાલીનો દાર્શનિક ગિયોરદાનો બ્રૂનો (1548-1600) વિજ્ઞાન અને ધર્મમાં કાળના અપારંપરિક વિચારો પર ઉત્તેજક ભાષણ આપતો હતો. ભાષણ-કૌશલને કારણે એ સારી એવી જનમેદની એકત્ર કરી લેતો હતો. ઈટાલી, ઈંગ્લેન્ડ, અને ફ્રાંસમાં ઘણાં ખુલ્લાં મંચો પરથી એણે નિકોલસ કોપરનિક્સના વિચારોનું સમર્થન કર્યું કે સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે. ચર્ચને આ વાત ન ગમી અને એના ભાષણોને ધર્મની વિરુદ્ધ જાહેર કર્યાં. એને ચેતવણી આપવામાં આવી છતાં પણ એ પોતાની વાત પર અડગ રહ્યો ત્યારે એને કેદ કરી લેવામાં આવ્યો. એક બનાવટી અદાલતમાં બ્રૂનોને અપરાધી ઠેરવવામાં આવ્યો અને જેલમાં પૂરવામાં આવ્યો. સાત વરસ પછી રોમમાં સ્ટેક્સના ચોકમાં એને જીવતો સળગાવી દેવામાં આવ્યો. એમ કહેવાય છે કે મૃત્યુ નિકટ હોવા છતાં પણ એણે ક્રિશ્ચિયન ક્રોસને ચૂમ્યો ન હતો, જે ચૂમવા માટે એને કહેવામાં આવ્યું હતું. વિજ્ઞાનના ઈતિહાસમાં બૂનોને વિજ્ઞાનનો પ્રથમ શહીદ હોવાનું ગૌરવ મળેલ છે.
[8] હોમી જહાઁગીર ભાભા
ભારતમાં નાભિકીય વિજ્ઞાનના સંસ્થાપક અને ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ અને ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના નિર્માતા હોમી જહાઁગીર ભાભા (1904-1966) સિતારવાદકની સાથે સાથે એક સારા ચિત્રકાર પણ હતા. ભારતીય અને પાશ્ચાત્ય સંગીતમાં એમને ઊંડો રસ હતો. એ કોઈ પણ સંગીત સમારંભમાં જવાનું ચૂકતા નહીં – પછી ભલે એ યૂરોપમાં આયોજિત હોય કે ભારતમાં. ત્યાં સુધી કે જ્યારે એ ભારતમાં શોધ સંસ્થાઓના નિર્માણમાં લાગેલા હતા ત્યારે પણ રાતના ભોજનની અગાઉ સંગીત સાંભળતા હતા અને શોધ સંબંધિત કાર્યો મોડી રાત સુધી કરતા હતા. એમનાં કેટલાંક ચિત્રો પ્રકૃતિવાદ શ્રેણીમાં આવે છે. એમના દ્વારા નિર્મિત પ્રત્યેક શોધ સંસ્થાનમાં સૌન્દર્યની એક ઝલક નજરે પડે છે. એમણે ભારતના કેટલાક ચિત્રકારોનાં પેન્ટિગ્સ ખરીદીને શોધ-સંસ્થાનના સભાગારોમાં પ્રદર્શિત કરાવેલા.
[9] ભાસ્કર
મહાન ભારતીય ગણિતજ્ઞ ભાસ્કર (1114)ની છ વરસની પુત્રી લીલાવતીના લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો. એ ઉત્સુકતાથી જળઘડીને જોઈ દીવાની થઈ રહી હતી, જેને એના પિતા લગ્નના પ્રસંગે એને આપવા માટે લાવ્યા હતા. એક જ્યોતિષીએ એના પિતાને કહ્યું હતું કે વિવાહ નિશ્ચિત પાવન મુહૂર્તમાં સંપન્ન થાય એની કાળજી રાખવી. દિવસો આવ્યા અને ગયા. લીલાવતી ઘડિયાળની ચાલને ઉત્સાહથી જોતી. જો કે એના પિતાએ ઘડિયાળને ન અડકવાની ચેતવણી એને આપી હતી. એક દિવસ એના કર્ણફૂલનું એક મોતી સરકીને એ જળ-ઘડિયાળમાં પડ્યું. એ ગભરાઈને ભાગી ગઈ અને કોઈને વાત ન કરી. મોતીને કારણે ઘડિયાળ ખોટો સમય બતાવવા લાગી. ઘડિયાળે બતાવેલ સમયે લીલાવતીના લગ્ન થયા. લગ્નના થોડા મહિના પછી એના પતિનું મૃત્યુ થઈ ગયું.
ખોટા સમયથી અજાણ ભાસ્કરે વિચાર્યું કે એણે વિવાહના પાવન મુહૂર્તના સાચા આકલન કરવામાં ભૂલ કરી દીધી છે. આ દુઃખાંતકારી ઘટનાને માટે એણે પોતાને દોષી માન્યા. થોડા સમય પછી એણે લીલાવતીને ગણિત શીખવવું શરૂ કર્યું કે જેથી એ શોકથી બચી શકે. લીલાવતી તુરત ગણિત સમજવા લાગી. એનાથી પ્રભાવિત થઈને ભાસ્કરે પોતાનું ગણિતનું પુસ્તક એના નામે સમર્પિત કરી દીધું. ગણિતના આ કલાસિક પુસ્તકને ‘લીલાવતી’ નામથી ઓળખવામાં આવે છે. એ સમયે એ પુસ્તક એટલું લોકપ્રિય હતું કે લોકો કહેતા હતા : ‘જેણે લીલાવતી સારી રીતે શીખી લીધેલ છે, એ એક વૃક્ષ પરનાં પાંદડાંઓની ચોક્કસ સંખ્યા બતાવી શકે છે.’
[10] ગ્રેગોર જૉહન મેંડલ
ઑસ્ટ્રિયાના વૈજ્ઞાનિક ગ્રેગોર જૉહન મેંડલ ધનના અભાવને કારણે પોતાનું શિક્ષણ પૂરું કરી શક્યા ન હતા. જીવન-નિર્વાહને માટે એને સાધુ બનવું પડ્યું હતું. જો કે એમની અંદર રહેલ વૈજ્ઞાનિક ભીતરથી જોર કરતો હતો. આથી એણે મઠના બગીચામાં મટરના છોડ પર વિશ્વપ્રસિદ્ધ શોધ પ્રયોગ કરવાની શરૂઆત કરી દીધી હતી. એના પૂરા જીવનકાળમાં કોઈએ પણ આનુવંશિકીના એના નિયમોના ગુણગાન ન ગાયા અને ન તો તેઓ કલ્પના કરી શક્યા કે એક સાધુ પણ વૈજ્ઞાનિક પ્રયોગ કરી શકે છે ! સાચી વાત એ છે કે કોઈએ પણ એ વિચાર્યું નહીં કે એણે બગીચાની વ્યવસ્થિત જાણકારી રાખવા ઉપરાંત પણ કંઈક કર્યું હતું. એના મૃત્યુ પછી ઘણાં વરસ પછી એના દ્વારા બનાવવામાં આવેલ નિયમોના આધાર પર જેનેટિક્સનો પાયો રચાયો.